પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ;
સૂર્યને નભમાં જઈ કેવળ પ્રજળવું જોઈએ.
શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પીગળવું જોઈએ.
વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને જ ઢળવું જોઈએ.
અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું જોઈએ .
જો કળીને કોઈ પીંખે તો ન શાંતિ રાખતા,
છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ
-દિલીપ વી ઘાસવાલા
Categories: Dilip Ghaswala